બોટાદ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી રીવાબા જાડેજાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
ચોમાસા દરમિયાન નાગરિકોને હાલાકી ન પડે તે માટે વિવિધ વિભાગોને પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા સૂચના
કલેકટરશ્રી હર્ષદ વોરાએ મઝીરો કેઝ્યુલિટી અભિગમને સાકાર કરવા કંટ્રોલરૂમ, શેલ્ટર હોમ અને રાહત-બચાવ વ્યવસ્થા સજ્જ રાખવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.
આવનાર ચોમાસું-૨૦૨૬ને અનુલક્ષીને બોટાદ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક પ્રભારીમંત્રીશ્રી રીવાબા જાડેજાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેકટરશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ચોમાસા પૂર્વે જરૂરી સાવચેતીના પગલાં, રાહત અને બચાવ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાએ વિવિધ વિભાગોના અધિકારીઓને જિલ્લાના રોડ-રસ્તાઓનું વહેલી તકે રીપેરિંગ પૂર્ણ કરવા, વરસાદી પાણીના નિકાલની સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોને વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
જિલ્લા કલેકટરશ્રી હર્ષદ વોરાએ જિલ્લાના ચારેય તાલુકાના અધિકારીઓને આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે અમલમાં મૂકવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સરકારશ્રીના “ઝીરો કેઝ્યુલિટી” અભિગમને સાકાર કરવા તાલુકા તથા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ સતત કાર્યરત રાખવા, ડિઝાસ્ટર ચેકલિસ્ટ મુજબ જરૂરી સાધન-સામગ્રીની ચકાસણી કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ તરવૈયાઓ, આપદા મિત્રો અને સરપંચશ્રીઓના સંપર્ક નંબરોની યાદી અધ્યતન રાખવા સૂચના આપી હતી.
ઉપરાંત, શાળાઓ તથા સરકારી ઇમારતોમાં પાણી, વિજળી અને ભોજન સહિતની સુવિધાઓ સાથે શેલ્ટર હોમ તૈયાર રાખવા, ગત વર્ષના વરસાદના આંકડા તથા ઉપલબ્ધ સંસાધનોના આધારે આગોતરી આયોજન કરવા તેમજ દરેક તાલુકામાં આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણ સજ્જ રહે તે માટે રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.સી. પરમારે અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી ઝડપી થઈ શકે તે માટે સંબંધિત વિભાગોને હકારાત્મક અભિગમ સાથે સર્વે કામગીરી સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ખાસ કરીને વિજળી, પાણી, રસ્તા અને આરોગ્ય વિભાગના અધિકારીઓને પોતાના વિભાગની ચોમાસા પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી લેવા તેમજ કોઈપણ માનવ જાનહાનિ, પશુ જાનહાનિ અથવા મકાન નુકસાન અંગે કંટ્રોલરૂમને તાત્કાલિક પ્રાથમિક જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી, જેથી રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરી શકાય.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા, અધિક નિવાસી કલેકટરશ્રી પી.એલ. ઝણકાત, નાયબ કલેકટરશ્રી મેહુલ પાંડોર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ તથા પંચાયત)ના કાર્યપાલક ઈજનેરશ્રીઓ, વન વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, પી.જી.વી.સી.એલ., આરોગ્ય વિભાગ, મામલતદારશ્રીઓ, સહાયક માહિતી નિયામકશ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. #bjp4ranpur #bjpbotad #BJPGujarat
